રાજ્યમાં સિંહની વસ્તીગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. વિગતો મુજબ તાજેતરમાં હાથ ધરવામાં આવેલ સિંહની વસ્તી ગણતરી બાદ સામે આવ્યું છે કે, રાજ્યમાં સિંહની વસ્તી 891 થઈ છે. એટલે કે નવા અંદાજ મુજબ રાજ્યમાં 891 સિંહનો વસવાટ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, PM મોદીને એશિયાટીક સિંહો માટે આગવો લગાવ છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, મેક ઈન ઈન્ડિયામાં સિંહનો લોગોમાં ઉપયોગ કર્યો છે.
ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાઈ સિંહનો 16મો વસ્તી અંદાજ-2025 10 મેથી 13મે દરમિયાન બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો. આ વસ્તી અંદાજની કામગીરી સિંહ અસ્તિત્વ ધરાવતા રાજ્યના જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, પોરબંદર અને બોટાદ એમ કુલ 11 જિલ્લાના 58 તાલુકાના 35 હજાર ચો.કિમી. વિસ્તારમાં ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ પદ્ધતિથી કરવામાં આવ્યો હતો. સરકારે ’16મી સિંહ વસ્તી ગણતરી – 2025’ના આંકડા જાહેર કર્યા હતા. ગુજરાતમાં એશિયાઈ સિંહોની વસ્તીની કુલ સંખ્યા 891 થઈ છે, જેમાં 196 નર,330 માદા,140 પાઠડા,225 બચ્ચા નોંધાયા છે. છેલ્લે 2015માં થયેલી ગણતરીમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 27%ના વધારા સાથે 523 નોંધાઈ હતી.
સિંહ સંવર્ધનમાં સફળ પ્રયાસો PM મોદીના નેતૃત્વમાં થયા : CM
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, PM મોદીને એશિયાટીક સિંહો માટે આગવો લગાવ છે, મેક ઈન ઈન્ડિયામાં સિંહનો લોગોમાં ઉપયોગ કર્યો છે. આ સાથે તેમણે કહ્યું કે, સિંહ સંવર્ધનમાં સફળ પ્રયાસો PM મોદીના નેતૃત્વમાં થયા છે. આ સાથે કહ્યું કે, સરકારના સાતત્યપૂર્ણ પ્રયાસોના કારણે સિંહોની વસ્તી સતત વધી છે. તેમણે કહ્યું કે, 2020મા 674 અને આજે 891 જાહેર કરી છે. CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ખૂબ સારી રીતે સિંહોની સંખ્યા વધી છે.
સૌપ્રથમ વર્ષ 1936માં યોજાઇ હતી સિંહ વસ્તી ગણતરી
વન વિભાગ દ્વારા નિયમિત રીતે કરવામાં આવતી સિંહની વસ્તી અંદાજની કામગીરી, મુલ્યાંકન અને સંરક્ષણના પરિણામે રાજ્યમાં ઉત્તરોત્તર સિંહની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સૌપ્રથમ વર્ષ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. પ્રાપ્ત અંદાજિત આંકડા મુજબ વર્ષ 1995માં કરવામાં આવેલી સિંહોની વસ્તી ગણતરીમાં પુખ્ત નર, માદા, પાઠડા-બચ્ચા એમ મળીને કુલ 304 જેટલા સિંહ નોંધાયા હતા. તેવી જ રીતે વર્ષ 2001માં કુલ 327, વર્ષ 2005માં કુલ 359, વર્ષ 2010માં કુલ 411, વર્ષ 2015માં કુલ 523 અને છેલ્લે વર્ષ 2020માં કુલ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે.
ડાયરેક્ટ બીટ વેરીફીકેશન પદ્ધતિ
એશિયાઈ સિંહોની વસ્તી અંદાજ માટે ‘ડાયરેક્ટ બીટ વેરીફીકેશન’ ખુબ ઉપયોગી પદ્ધતિ છે. આ પદ્ધતિથી આંકડાકીય વિશ્લેષણ અને અમલીકરણમાં સરળતાના લીધે લગભગ 100 ટકા ચોકસાઈ મળે છે તેમજ માનક ભૂલનો અવકાશ લગભગ શુન્ય રહે છે. ત્રણ દાયકા કરતાં પણ વધુ સમયથી અમલી આ પદ્ધતિ જંગલો, ઘાસના મેદાનો, દરિયાકાંઠાના વિસ્તારો, રેવન્યુ વિસ્તારોમાં અસરકારક અને અનુકૂળ રીતે કામ કરે છે.
સમગ્ર વિસ્તારને રિજિયન, ઝોન, સબ ઝોન જેવાએકમોમાં વિભાજીત કરીને રિજિનલ, ઝોનલ અને સબ-ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, મદદનીશ ગણતરીકારો, નિરીક્ષકો સહિત લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો દ્વારા સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી. તેમને સિંહોની નોંધ અને ચકાસણી કરવા માટે નિયત પત્રકો અને તેમના સોંપાયેલ વિસ્તારોના નકશા આપવામાં આવ્યા હતા. આ પત્રકોમાં અવલોકનનો સમય, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, શરીર પરના કોઈ અન્ય ઓળખ ચિન્હો, જી.પી.એસ. લોકેશન, ગૃપ કંપોઝીશન વગેરે વિગતો નોંધવામાં આવી હતી.
મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ
સિંહોની વ્યક્તિગત ઓળખ કરવા માટે હાઈ રીઝોલ્યુશન કેમેરા, કેમેરા ટ્રેપ્સ જેવા વિવિધ ટેકનોલોજીકલ સાધનોનો ઉપયોગ કરવામાં આવશે. કેટલાક સિંહોને રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા છે, જેથી સિંહ તેમજ તેના ગૃપનુ લોકેશન મેળવવામાં મદદ મળે છે. સિંહ અવલોકનના રિયલ ટાઈમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થાય તે માટે e-GujForest એપ્લિકેશનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત જી.આઇ.એસ. સોફ્ટવેરનો ઉપયોગ સર્વેક્ષણ વિસ્તારોને રેખાંકિત કરવા તથા સિંહોની હિલચાલ, વિતરણ પેટર્ન અને રહેઠાણના ઉપયોગને ટ્રેક કરવા માટે વિગતવાર નકશા વિકસાવવા માટે કરવામાં આવ્યો હતો.
જાણો ક્યાં કેટલા સિંહ ?
ગીર નેશનલ પાર્કમાં સિંહોની સંખ્યા 384 થઈ છે. જેમાં મિતાલીયા વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી અને આસપાસના વિસ્તારોમાં સિંહોની વસ્તી 16 થી 32 થઈ. ગીર વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીમાં સિંહોની વસ્તી 2020માં 56 થી ઘટી 54 થઈ. રાજૂલા, જાફરાબાદ નાગેશ્રી સિંહોની વસ્તી 2020 માં 67 થી 94 થઈ, સાવરકુંડલા-લીલીયા અને આસપાસ 2020માં 98થી વધી 2025માં 125 થઈ છે. આ સાથે ભાવનગર વિસ્તારમાં સિંહોની વસ્તી 56 થી વધીને 103 થઈ છે. ભાવનગર કોસ્ટલ વિસ્તારમાં સિંહની વસ્તી 17 થી ઘટી 15 થઈ. જેતપુર વિસ્તારમાં 6 સિંહોનો વસવાટ છે, જેમાં બાબરા-જસદણ વિસ્તારમાં 4 સિંહોનો વસવાટ છે.