અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા
રથયાત્રા પૂર્વે આદિવાસી નૃત્ય અને ઢોલ-નગારા સાથે ભક્તોનો ભારે ઉત્સાહ
ગજરાજની સવારી પહોંચી રાયપુર ચકલા સર્કલે
અમદાવાદમાં ભગવાન જગન્નાથની આજે 145મી રથયાત્રા નિમિત્તે જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. 2 વર્ષ બાદ રથયાત્રાનો લાભ મળતા ભક્તોમાં દર્શનનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રથયાત્રામાં લઠ્ઠબાજી અને ચક્ર કરતબ સાથે અખાડાના ટ્રકો ધીરે-ધીરે આગળ વધી રહ્યાં છે. પૂરજોશમાં કરતબ સાથે અખાડાના ટ્રકો આગળ પસાર થઇ રહ્યાં છે. રથયાત્રામાં વિવિધ થીમ પર ટ્રક તૈયાર કરવામાં આવ્યા છે. રથયાત્રાના રૂટ પર ઠેર-ઠેર મગની પ્રસાદીનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
2 વર્ષ બાદ જગતના નાથ જગન્નાથ નગરચર્યાએ નીકળતા ભક્તોમાં દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં ગજરાજ રાયપુર ચકલા સર્કલે પહોંચ્યા છે.
જગન્નાથજીના આંખેથી પાટા ખોલવામાં આવતા દર્શન કરીને ભક્તો ઝૂમી ઉઠ્યા છેલ્લાં 7 વર્ષથી યજમાન પરિવાર જેની રાહ જોઈ રહ્યો હતો તેઓની તે ઇચ્છા આજે ભગવાને પૂરી કરી છે. ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું છે. યજમાન પરિવાર અત્યારે સરસપુર મંદિર પહોંચ્યો છે. મહત્વનું છે કે, ભગવાનના મોસાળા માટે વર્ષોવર્ષથી રાહ જોવાતી હોય છે.અમદાવાદમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભગવાનની નગરચર્યા ધીરે-ધીરે આગળ વધી રહી છે. ગજરાજો ઢાળની પોળ પહોંચ્યા છે. ભગવાનના દર્શનની તાલાવેલી હોવાના કારણે ભક્તોની પણ ધીરે-ધીરે ભીડ જામી રહી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, ‘લોકોને દર્શન આપવા માટે શાહી અંદાજમાં ભગવાનની યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. યાત્રા સમયસર શરૂ થાય અને ભગવાન સમયસર મંદિરમાં પહોંચે તે માટે સમગ્ર વ્યવસ્થા ગુજરાત પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની યાત્રા એ આસ્થા અને વ્યવસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે. આ વખતે ખૂબ નવી ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે ડ્રોન અને હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.’
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ કરી વિધિવત રીતે રથયાત્રાનો શુભારંભ કરાવ્યો છે. જય જગન્નાથના ગગનભેદી નાદ સાથે વાતાવરણ ગૂંજી ઉઠ્યું. મુખ્યમંત્રીએ રથ ખેંચીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો. ભગવાન જગન્નાથ, શુભદ્રાજી અને બલભદ્રજીની રથયાત્રા નગરચર્ચાએ નીકળી ગઈ છે. ભગવાનના નગરચર્યાએ નીકળ્યા પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી હતી. જ્યાર બાદ મુખ્યમંત્રીએ રથયાત્રાને લઇ કચ્છી ભાઈ-બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે ભગવાન પાસે ગુજરાતના લોકોની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી.