રાજ્યના 58 તાલુકાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં દોઢ ઇંચ વરસાદ
રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદની આગાહી
ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું વિધિવત્ આગમન થવાની તૈયારીઓ શરુ થઇ ચુકી છે, ત્યારે રાજ્યમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે જેને પગલે રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. પ્રિ મોન્સૂન એક્ટિવિટીને પગલે રાજ્યના ૫૮ તાલુકામાં મેઘમહેર થઇ છે. જેમાં જુનાગઢમાં સૌથી વધુ દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ૧૨ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. હજુ આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે.
જુનાગઢ શહેર-જુનાગઢ ગ્રામ્ય અને અમરેલીના વડિયામાં સાંજે 2 કલાકમાં જ ૧.૩૫ ઈંચ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં આજે જ્યાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં સાબરકાંઠાના વડાલી, અમરેલીના વડિયા, દાહોદ, નવસારીના ખેરગામ, જામનગરના કાલાવાડ,ડાંગના સુબિરનો મુખ્યત્વે સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠામાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તીવ્ર ગતિએ પવન ફૂંકાયા બાદ વરસાદ પધાર્યા હતો .આ સિવાય અન્યત્ર જ્યાં નોંધપાત્ર મેઘમહેર થઇ તેમાં ડાંગના વઘઇ, વડોદરાના કરજણ, સુરેન્દ્રનગરના મુલી, નર્મદાના ડેડિયાપાડા, અમરેલીના બગસરા-બાબરા, દાહોદના ફતેહપુરા, વલસાડના કપરાડા,ગીર સોમનાથના સુત્રાપાડા, સુરતના કામરેજનો સમાવેશ થાય છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૃપે વાતાવરણમાં પલટો આવ્યો છે. નૈઋત્યનું ચોમાસું હજુ આગામી ૪૮ કલાકમાં ગુજરાતમાં વિધિવત્ આગમન કરી શકે છે. દક્ષિણ ગુજરાતમાં બે દિવસમાં ચોમાસાનું સત્તાવાર આગમન થશે અને આવતા આવતા સપ્તાહ સુધીમાં રાજ્યના મોટાભાગના જિલ્લામાં ચોમાસું બેસી જાય તેવી સંભાવના છે.