- ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી
- મહેન્દ્ર ફળદુએ દવા પીને ગળેફાંસો ખાધો
- સુસાઇડ નોટમાં લખ્યું- ઓઝોન ગ્રુપ જવાબદાર
![Rajkot businessman Suicide](https://www.mukhyasamacharnews.com/wp-content/uploads/2022/03/6_1646205901-300x225.jpg)
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની જાણીતી કડવા પાટીદાર સમાજની સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતાં પહેલાં એક સુસાઇડ નોટ પણ લખી રાખી હતી અને એ દરેક અખબારમાં મોકલવામાં આવી હતી. બાદમાં 150 ફૂટ રિંગ રોડ પર આવેલી પોતાની ઓફિસમાં ઝેરી દવા પી તેમજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી, જેની જાણ થતાંની સાથે જ તેમનાં મિત્રવર્તુળો તેમજ રાજકીય આગેવાનો પહોંચી ગયાં હતાં અને મૃતદેહને સિવિલ હોસ્પિટલ લાવી કાર્યવાહી હાથ ધરી છે. સુસાઈડ નોટરૂપી પ્રેસ નોટમાં તેમને આપઘાત પાછળ ઓઝન ગ્રુપ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે અને લખ્યું છે કે મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી.
![Rajkot businessman Suicide](https://www.mukhyasamacharnews.com/wp-content/uploads/2022/03/7_1646205937-300x225.jpg)
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નક્ષત્ર બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા જાણીતા ઉદ્યોગપતિ અને સૌરાષ્ટ્રની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા યુવી ક્લબના ચેરમેન મહેન્દ્ર ફળદુએ આજે સવારના સમયે ઝેરી દવા પી અને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરતાં પહેલાં એક સુસાઇડ નોટરૂપી પ્રેસ નોટ લખી હતી, જે દરેક અખબારોમાં મોકલી હતી. આ પ્રેસ નોટમાં તેમને તેમના આપઘાત પાછળ ઓઝોન ગ્રુપ જવાબદાર હોવાનું જણાવ્યું છે, સાથે જ અમિત ચૌહાણ, એમ.એમ.પટેલ, અતુલ મહેતા અને અમદાવાદના લોકો જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે.
![Rajkot businessman Suicide](https://www.mukhyasamacharnews.com/wp-content/uploads/2022/03/8_1646206705-300x225.jpg)
બનાવની જાણ થતાં તેમનાં પરિવારજનો મિત્રો તેમજ રાજકીય આગેવાનો સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં. રાજકોટ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમના નજીકના મિત્ર છે, તેઓ પણ આજે આ બનાવ બનતાં અવાચક થઈ ગયા હતા. મિત્ર મહેન્દ્રભાઈ ક્યારેય આવું પગલું ભરે એવું સ્વપ્ને પણ વિચારી શકાય એમ ન હતું, પરંતુ આજે આ ઘટના બનતાં સૌકોઈ લોકો શોક થઇ ગયા છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરાઇ છે, જ્યાં મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ, મિત્રો, રાજકીય આગેવાનો અને પરિવારજનો આવી પહોંચ્યાં છે.
![Rajkot businessman Suicide](https://www.mukhyasamacharnews.com/wp-content/uploads/2022/03/9_1646208389-300x225.jpg)
સુસાઇડ નોટરૂપી પ્રેસ નોટમાં વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજકોટ શહેરના આગેવાન, સિનિયર એડવોકેટ, બિલ્ડર અને પાટીદાર આગેવાન એવા મહેન્દ્રભાઈ કે. ફળદુએ ‘સંકે ધી બેસ્ટ પુ એ કાપે’ રાજકોટ શહેરના બિલ્ડર એમ.એમ. પટેલ (સુરેજા), અમિતભાઈ ચૌહાણ, અતુલભાઈ મહેતા તથા અમદાવાદનાં ઓઝોન ગ્રુપના જયેશકુમાર કાન્તિલાલ પટેલ, દીપક મણિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પથકુમાર કાન્તિલાલ પટેલ સાથે મળીને અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ગામ બલદાણામાં આશરે પાંચેક લાખ વાર જગ્યામાં ‘ધ તસ્કની બીચ સિટી’ના નામનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છે.