પુણે રેલ્વે પોલીસે મહારાષ્ટ્રના પુણે રેલ્વે સ્ટેશન પર ગેરકાયદેસર રીતે પિસ્તોલ અને જીવતા કારતુસ લઈ જવા બદલ ગુજરાતના એક વેપારીની ધરપકડ કરી છે. જ્યારે આ વ્યક્તિનું વર્તન શંકાસ્પદ જણાતાં પોલીસે તેને પકડી લીધો હતો. આ વ્યક્તિની પૂછપરછ અને તલાશી લેતા આ વ્યક્તિ પાસેથી વિદેશી બનાવટની પિસ્તોલ અને છ જીવતા કારતૂસ મળી આવ્યા હતા. આ સાથે તેની પાસેથી સાડા ત્રણ લાખ રૂપિયાની રોકડ પણ મળી આવી હતી. આ વ્યક્તિનું નામ અનિલ કુમાર રામગ્ય ઉપાધ્યાય (ઉંમર 47) છે, જે ગુજરાતના સુરતનો રહેવાસી છે.
અનિલ કુમાર સુરતથી પિસ્તોલ લઈને મહારાષ્ટ્રના પુણે આવ્યો હતો અને નાગપુર જવાનો હતો. પિસ્તોલ ગેરકાયદેસર રાખવા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.
આરોપીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો
આ મામલામાં પોલીસ કોન્સ્ટેબલ નિશિકાંત રાઉતની ફરિયાદ બાદ પુણે રેલવે પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. લાયસન્સ વગરની પિસ્તોલ રાખવાના કેસમાં તપાસ ચાલુ છે. આરોપીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
પિસ્તોલ અને કારતુસ ઉપરાંત રોકડ, સોનું, ટેબ અને ત્રણ મોબાઈલ કબજે કર્યા હતા
FIRમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, નિશિકાંત રાઉત અને અન્ય રેલવે પોલીસ કર્મચારીઓ મંગળવારે પુણે રેલવે સ્ટેશન પર ફરજ પર હતા. સવારે લગભગ 10.55 વાગ્યે, તેણે પુણે રેલવે સ્ટેશનના મુખ્ય દરવાજા પર એક વ્યક્તિને શંકાસ્પદ હાલતમાં ફરતો જોયો. રેલવે પોલીસે શંકાસ્પદને અટકાવી પૂછપરછ કરી અને તેની શોધખોળ હાથ ધરી હતી. ત્યારબાદ આરોપી પાસેથી એક પિસ્તોલ અને છ જીવતા કારતુસ મળી આવ્યા હતા. આ ઉપરાંત તેની પાસેથી એક ટેબ, ત્રણ મોબાઈલ અને કેટલાક સોનાના દાગીના મળી આવ્યા હતા.