વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે આજે વતનમાં તેમનો બીજો દિવસ છે. ગઈકાલે મહેસાણામાં કરોડોના વિકાસકામોની ભેટ આપ્યા બાદ આજે પ્રવાસના બીના દિવસે તેઓ ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે અને વધુ કરોડોના વિકાસકામોની ભેટ રાજ્યના લોકોને આપશે. પીએમના આ કાર્યક્રમને લીધે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને પોતાના લોકપ્રિય નેતાનું સ્વાગત કરવા માટે થનગની રહ્યા છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા દિવસે ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશાળ ડોમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચમાં રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપવામાં આવશે. ભરૂચમાં રૂપિયા 2500 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્ક સ્થપાશે. જ્યાં ઔધોગિક પાર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.
તથા 4 ટ્રાઇબલ પાર્ક, 1 એગ્રો પાર્ક, 1 સી-ફૂડ પાર્ક1 MSME પાર્ક, 2 બહુસ્તરીય ઔધોગિક શેડનું ભૂમિપૂજન પણ કરવામાં આવશે. તેમજ ડીપ સી પાઇપલાઇન પ્રોજેક્ટનું ઉદ્વાટન અને GACLના ચાર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન, અંકલેશ્વર એરપોર્ટ-ફેઝ-1નું ઉદ્ઘાટન, IOCL દહેજ-કોયલી પાઈપલાઈનના ઉદ્ઘાટન, ભરૂચ ભૂગર્ભ ગટર અને STPના કામોનું લોકાર્પણ અને ઉમલ્લા અશાપાણેથા રોડ મજબૂતીકરણનું લોકાર્પણ કરવામાં આવનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભરૂચમાં રાજ્યના પ્રથમ બ્લક ડ્રગ પાર્કનું ખાતમુહૂર્ત કરવાના છે. આ બલ્ક ડ્રગ પાર્ક આત્મનિર્ભર ભારતના વિઝન હેઠળ તૈયાર થનાર છે. તેનું નિર્માણ 2015 હેક્ટર વિસ્તારમાં થવાનું છે. રૂપિયા 2500 કરોડના ખર્ચે બલ્ક ડ્રગ પાર્કનું નિર્માણ થશે. દેશમાં હાલ હાલમાં એક્ટિવ ફાર્મા ઇન્ગ્રિડિયન્ટ આયાત કરવામાં આવે છે. આ પ્રોજેક્ટથી સપ્લાય ચેઇન સરળ થશે. આ પ્લાન્ટથી આયાતના વિકલ્પ માટેનો માર્ગ મોકળો બનશે.
પીએમના પ્રવાસના બીજા દિવસમાં તેઓ બપોરે આણંદના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાં શાસ્ત્રી મેદાનના આંગણે વિશાળ જનસભા સંબોધશે. ત્યારબાદ તેઑ અમદાવાદ પરત ફરશે અને અમદાવાદમાં શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં હાજરી આપશે. જ્યાંથી સાંજે તેઓ સીધા જામનગર જવા રવાના થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સાંજે જામનગર પહોંચવાના છે. અહીં તેઓ દિગ્જામ સર્કલથી લગભગ બે કિલોમીટર લાંબો રોડ શો કરવાના છે. જ્યાંથી તેઓ સાત રસ્તા સર્કલ પાસે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે યોજાનાર જાહેરસભામાં પહોંચશે.
ત્યાં તેઓ હરિપર ગામે રૂ. 176.89 કરોડના સોલાર પી.વી પ્રોજેક્ટનું થશે લોકાર્પણ, 40 મેગાવોટ સોલાર પી.વી. પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ કાલાવડ-મોરબી, માળીયા-જોડીયા જુથ સુધારણા પાણી યોજનાનું ખાતમૂર્હુત અને જામનગરમાં સૌની યોજનાના બીજા-ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરવાના છે. જેનાથી જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં નર્મદાના પાણી પહોંચતા થશે.
વડાપ્રધાન દ્વારા જામનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવશે અને જનસભાનું સંબોધન પણ કરવામાં આવશે. ત્યાંથી જામનગરમાં રાત્રી રોકાણ બાદ 11 ઓક્ટોબરના રોજ જામકંડોરણા ખાતે જશે. જ્યાં કાર્યક્રમમાં હાજરી આપી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરી દિલ્લી જવા રવાના થશે.