મોદી કેબિનેટમાં ખરીફ પાકોની એમએસપીમાં થયો વધારો
5 થી 20 ટકાનો વધારો
ડાંગર, સોયાબીનની MSPમાં વધારો થશે
કેન્દ્રની મોદી સરકારે ખેડૂતોને સારા સમાચાર આપયા છે. કેન્દ્રીય કેબિનેટે ખરીફ સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી છે. મોદી સરકારની આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેને પગલે વર્ષ 2022-23 માટે ખરીફ પાકોની MSP હવે વધશે. કેબિનેટમાં લેવાયેલા નિર્ણયો સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે.વર્ષ 2022-23 માટે ખરીફ પાકની MSP પર 5થી 20%નો વધારો થયો છે. કેબિનેટના નિર્ણય બાદ ખરીફ પાકો એટલે કે ડાંગર, સોયાબીનની MSPમાં વધારો થશે. બીજી બાજુ, કેબિનેટે મકાઈની MSP વધારવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી દીધી છે.
2018-19 સીઝન પછી, આ વખતે MSP સૌથી વધુ વધે તેવી શક્યતા છે. ડાંગર, સોયાબીન અને મકાઈ ઉપરાંત મગફળી, તુવેર, મગ, જુવાર, બાજરી અને રાગીના ટેકાના ભાવમાં વધારો મંજૂર કરવામાં આવશે. આ સિઝનમાં કુલ 14 પાકોની MSP વધારવામાં આવશે. સરકાર કઠોળ અને તેલીબિયાં પાકોમાં મહત્તમ વધારો કરે તેવી પણ ચર્ચાઓ થવા પામી છે.દર વર્ષે ખેતીનો ખર્ચ વધતો જાય છે. ડીઝલના ભાવ વધવાથી સિંચાઈ અને ખેડાણ પાછળનો ખર્ચ વધે છે. સાથે જ ખાતર, બિયારણ અને ખેત મજૂરીનો ખર્ચ પણ વધે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને કૃષિ ખર્ચ અને કિંમત પંચની ભલામણને આધારે કેન્દ્ર સરકાર દર વર્ષે બે વખત પાકની એમએસપી નક્કી કરે છે. ખરીફ ઋતુ શરૂ થાય તે પહેલા જ ખરીફ પાકની એમએસપી જાહેર કરવામાં આવે છે.