ભારતના ભાગેડુ અને વોન્ટેડ ગેંગસ્ટર જયેશ રાણપરીયાને હવે ભારત લાવવામાં આવશે. લંડનની કોર્ટે ગુરુવારે જયેશ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. રાણપરિયા 2018થી બ્રિટનમાં છુપાયેલો હતો પરંતુ ઇન્ટરપોલે તેને 2021માં કસ્ટડીમાં લીધો હતો.
ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, લંડનની એક કોર્ટે ગુરુવારે કેસની સુનાવણી બાદ પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે રાણપરિયા વિરુદ્ધ ગુજરાતમાં કેસ નોંધાયેલા છે, તેથી તેની કસ્ટડી ત્યાં જ જરૂરી છે. કોર્ટે આ મામલો આગળની પ્રક્રિયા માટે યુકે સરકારને મોકલી આપ્યો છે.
ઇન્ટરપોલે વર્ષ 2021માં લંડનના ક્રોયડનથી રાણપરિયાની અટકાયત કરી હતી અને ત્યારબાદ વેસ્ટમિન્સ્ટર કોર્ટે તેને વેન્ડ્સવર્થ જેલમાં મોકલી આપ્યો હતો. ત્યારબાદ મેજિસ્ટ્રેટ કોર્ટે રાણપરિયાને ભારત પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. જે બાદ મામલો લંડન કોર્ટમાં પહોંચ્યો હતો.
કોર્ટના નિર્ણય પર ગુજરાત પોલીસે શું કહ્યું?
રાણપરિયાને ભારત પ્રત્યાર્પણ કરવાના આદેશ પર, ગુજરાત ATS ડીઆઈજી દીપન ભદ્રને ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે ગેંગસ્ટરને ફરીથી સકંજામાં લાવવા માટે આ એક મહત્વપૂર્ણ જીત છે. તેમણે કહ્યું કે આ પ્રથમ વખત છે કે યુકેની કોર્ટે ગુજરાતમાં વોન્ટેડ વ્યક્તિના પ્રત્યાર્પણની માંગણીના કેસમાં અનુકૂળ ચુકાદો આપ્યો છે.
લંડન કોર્ટના નિર્ણય બાદ જયેશ રાણપરિયાને ભારત લાવવાનું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. દીપન ભદ્રને વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે બ્રિટિશ સરકાર પ્રત્યાર્પણ અંગે કોર્ટના નિર્ણયની વિરુદ્ધ નથી જતી.
શું છે સમગ્ર મામલો?
ગુજરાત પોલીસે ચાર ગંભીર ગુનાહિત કેસોની સુનાવણી માટે લંડનની કોર્ટમાં જયેશ રાણપરિયાના પ્રત્યાર્પણની માંગણી કરી હતી. જયેશ પર વકીલ કિરીટ જોશી, બિલ્ડર જયસુખ પેઢાડિયા અને ગિરીશ ડેરને ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે. આરોપ બાદ જયેશને ધરપકડનો ડર લાગવા લાગ્યો, ત્યાર બાદ તે ભાગી ગયો.