નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે ગુજરાતની વિશેષ અદાલતમાં ચાર બાંગ્લાદેશી નાગરિકો સહિત પાંચ લોકો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ તમામ આતંકી સંગઠનો અલકાયદા સાથે જોડાયેલા છે. તેમના પર ભારતમાં આતંકવાદી ગતિવિધિઓનું ષડયંત્ર રચવાનો આરોપ છે. ચાર્જશીટમાં મોહમ્મદ સોજીબ મિયાં, મુન્ના ખાલિદ અંસારી ઉર્ફે મુન્ના ખાન, જહાંગીર ઉર્ફે અઝહરૂલ ઈસ્લામ, અબ્દુલ લતીફ ઉર્ફે મોમિનુલ અંસારી અને ફરીદનો સમાવેશ થાય છે.

ચાર્જશીટ મુજબ, સોજીબ મિયાં, મુન્ના ખાન, જહાંગીર અને અબ્દુલ લતીફ બાંગ્લાદેશના નાગરિક છે જેમણે દેશમાં ગુપ્ત રીતે કામ કરવા અને તેમના આતંકવાદી એજન્ડાને આગળ વધારવા માટે બનાવટી દસ્તાવેજો મેળવ્યા હતા. એનઆઈએના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર અમિત નાયર વતી એનઆઈએના સ્પેશિયલ જજ કમલ સોજીત્રાની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. મે મહિનામાં, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ અલ કાયદાના મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો અને નકલી ઓળખ દસ્તાવેજોનો ઉપયોગ કરીને ભારતમાં પ્રવેશ્યા પછી અમદાવાદમાં ગેરકાયદેસર રીતે રહેતા ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરી હતી. NIAએ જૂનમાં UAPAની વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.


