વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકાતામાં નેશનલ ગંગા કાઉન્સિલની બીજી બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ હાજર હતા. ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
રાષ્ટ્રીય ગંગા પરિષદની પ્રથમ બેઠક 14 ડિસેમ્બર 2019ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં યોજાઈ હતી. આ પછી હવે કાઉન્સિલની બેઠક 30 ડિસેમ્બર 2022ના રોજ કોલકાતામાં યોજાઈ રહી છે. વડાપ્રધાન રાષ્ટ્રીય ગંગા પરિષદના અધ્યક્ષ છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પ્રતિનિધિઓ તેના સભ્યો છે. આ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેની બેઠકમાં ભાગ લે છે.
કાઉન્સિલમાં જલ શક્તિ મંત્રાલય, સ્વચ્છતા અને પીવાના પાણી મંત્રાલય, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, શિપિંગ મંત્રાલય, ગ્રામીણ વિકાસ મંત્રાલય, નાણા મંત્રાલય, શહેરી વિકાસ મંત્રાલય ઉપરાંત નીતિ આયોગનો સમાવેશ થાય છે.