દેશમાં ફ્લાઈટ દુર્ઘટનાઓ વધતા સરકાર એક્શનમાં
નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયાએ યોજી હાઈ લેવલ બેઠક
તમામ એરલાઈન્સને કહેવાયું, સુરક્ષાના પૂરતા પગલાં ઉઠાવો
દેશમાં ખાનગી અને સરકારી એરલાઈન્સની ફ્લાઈટોમાં દુર્ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં એકીસાથે ત્રણ ફ્લાઈટમાં હવામાં જ દુર્ઘટનાઓ સામે આવી હતી આથી પ્રવાસીઓમાં એક પ્રકારનો ડર ફેલાયો છે અને લોકો હવાઈ મુસાફરી કરતા ડરી રહ્યાં છે. લોકોનો આવો ડર દૂર કરવા માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક હાઈ લેવલ બેઠક બોલાવી હતી. હાઈલેવલ બેઠકમાં ફ્લાઈટમાં સુરક્ષાનો મુદ્દો ચર્ચાયો હતો. બેઠકમાં તમામ એરલાઈન્સને એવો આદેશ આપવામાં આવ્યો કે તેમણે સુરક્ષાના પૂરતા પગલા ભરવા પડશે.
મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં એવું જણાવાયું કે ઉડ્ડયન મંત્રીએ એરલાઈન્સને નિર્ધારિત સલામતીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને મુસાફરોની સલામતીમાં કોઈ પણ કસર ન રહે તેની ખાતરી રાખવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સ્પાઇસ જેટ, ઇન્ડિગો અને ગો ફર્સ્ટ જેવી ઓછી કિંમતની એરલાઇન્સ સાથે સંકળાયેલી કેટલીક ફ્લાઇટમાં દુર્ઘટનાઓ સામે આવી હતી જેને કારણે પ્રવાસીઓમાં ડર ફેલાયો છે અને લોકો હવાઈ મુસાફરી કરતા ખચવાટ અનુભવી રહ્યાં હતા. આથી સરકારે તાબડતોબ મીટિંગ કરીને એરલાઈન્સને મુસાફરોની સુરક્ષા માટે તાકીદના પગલાં ભરવાનો આદેશ આપ્યો હતો.