ગાંધીનગરમાં પાટીદાર અગ્રણીઓની CM સાથેની બેઠક પૂર્ણ
બેઠકમાં બિન અનામત આયોગના લાગતા પ્રશ્ન વિશે ચર્ચા થઈ
પાટીદાર આંદોલનમાં 14 કેસ સિવાયના કેસ પરત ખેંચવા સરકાર હકારાત્મક
ગાંધીનગરમાં આજે વર્લ્ડ પાટીદાર ફેડરેશન નેજા હેઠળ પાટીદાર અગ્રણીઓની CM ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વની બેઠક યોજાઇ. જેમાં સી.કે. પટેલ, બાબુ જમનાદાસ પટેલ, જયરામ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ અંગે સી.કે. પટેલે જણાવ્યું કે, ‘બેઠકમાં બિન અનામત આયોગને લગતા પ્રશ્ન વિશે ચર્ચા થઈ. આ સાથે નિગમ અને આયોગમાં જલદી ભરતી થાય તેમજ નિગમ અને આયોગના કામો ઠપ થઈ ગયા છે તે અંગેની બેઠકમાં ચર્ચા થઈ.
વધુમાં જણાવ્યું કે, ‘પાટીદાર આંદોલન પરત ખેંચવા બાબતે પણ બેઠકમાં ચર્ચા થઈ. 14 કેસ એવાં છે કે જેમાં સરકાર ચર્ચા કરશે બાદમાં નિર્ણય લેશે. 14 કેસ સિવાયના કેસ પરત ખેંચવા સરકાર હકારાત્મક છે. નિગમ અને આયોગના બજેટ વિશે પણ બેઠકમાં ચર્ચા થઈ. 1000 કરોડ સુધીનું બજેટ લઇ જવા બાબતે પણ બેઠકમાં ચર્ચા થઈ. પાટીદાર આંદોલનમાં શહીદ થયેલાના પરિવારને નોકરી મળે તે બાબતે પણ બેઠકમાં ચર્ચા થઈ. આ બધા વિષયો પર ધ્યાન આપી આ બધા પ્રશ્નોનું જેમ બને તેમ જલદીમાં જલદી નિરાકરણ થશે.
CK પટેલે વધુમાં કહ્યું કે, ‘આજે બધા સમાજના અગ્રણીઓ તેમજ ગઇકાલે વર્લ્ડ પાટીદાર ફેડરેશન નેજા હેઠળની બીજી 15 નવી સંસ્થાઓ કે જે રાજ્યમાં વિવિધ જિલ્લાકક્ષાએ કાર્યરત છે તે સંસ્થાના અગ્રણીઓ પણ બેઠકમાં હાજર રહ્યાં. આજે સંપૂર્ણ પાટીદાર સમાજની CMના બંગલે હાજરી હતી.’